અષાઢ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ? 2 કે 3 ઓગસ્ટ? ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Ashad Sankashti Chaturthi 2026 | Okhaharan
 |
| ashad-sankashti-chaturthi-2026 |
સ્વાગત છે તમારા પોતાના ગુજરાતી ભક્તિ લેખમાં. આજે આપણે જાણીશું અષાઢ માસની સંકષ્ટી ચતુર્થી 2026 વિશેની સંપૂર્ણ માહિતી. આ વર્ષે સંકષ્ટી ચતુર્થી 2 ઓગસ્ટ કે 3 ઓગસ્ટ? ઉપવાસ ક્યારે કરવો?, આ દિવસે ભગવાન શ્રી ગણેશના કયા સ્વરૂપનું પૂજન કરવું?, ચંદ્રદર્શનનો સમય શું છે?, તેમજ આ ચતુર્થીનું વિશેષ મહત્વ શું છે તે તમામ માહિતી આજે આ લેખમાં જાણીશું.
સંકષ્ટી ચતુર્થીનું મહત્વ
હિંદુ ધર્મમાં દરેક તિથિ અને દરેક વાર કોઈ ને કોઈ દેવતા અથવા દેવીને સમર્પિત છે. જેમ કે સોમવાર ભગવાન મહાદેવને, એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુને અને અષ્ટમી માતાજીને સમર્પિત છે, તેવી જ રીતે ચતુર્થી તિથિ વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે.
ચતુર્થી બે પ્રકારની હોય છે:
• શુક્લ પક્ષની વિનાયક ચતુર્થી
• કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થી
બંનેનું પોતપોતાનું વિશેષ મહત્વ છે. કેટલાક મહિનાઓમાં વિનાયક ચતુર્થીનું મહત્વ વિશેષ હોય છે, જ્યારે કેટલાક મહિનાઓમાં સંકષ્ટી ચતુર્થીનું મહત્વ વધુ માનવામાં આવે છે.
ગણેશ પુરાણ અનુસાર દર વર્ષે આવતા 12 મહિનાની 24 ચતુર્થી તથા ત્રણ વર્ષે આવતા અધિક માસની 2 ચતુર્થી સહિત કુલ 26 ચતુર્થીઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
સંકષ્ટી ચતુર્થી શા માટે ખાસ છે?
દરેક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં આ વ્રત અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે.
આ દિવસે ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્રદેવનું પણ પૂજન કરવામાં આવે છે. ભગવાન શ્રી ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. માતા પાર્વતી અને ભગવાન શંકરના આશીર્વાદથી તેમને દરેક શુભ કાર્ય પહેલાં પૂજવાનો અધિકાર પ્રાપ્ત થયો છે.
ભગવાન ગણેશને વિઘ્નહર્તા, બુદ્ધિના દાતા અને મંગલકારક દેવ તરીકે પૂજવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરીને શ્રી ગણેશની ભક્તિ કરવાથી જીવનના વિઘ્નો દૂર થાય છે, જ્ઞાન, વૈભવ, સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.
સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશ સાથે રિદ્ધિ અને સિદ્ધિનું પણ પૂજન કરવામાં આવે છે, જેથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.
અષાઢ માસની સંકષ્ટી ચતુર્થીનું મહત્વ અન્ય મહિનાઓની સરખામણીએ વધુ વિશેષ માનવામાં આવે છે. તેથી આ દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત, પૂજન અને મંત્રજાપ કરવાથી અનેકગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે.
અષાઢ માસની સંકષ્ટી ચતુર્થી 2026 તારીખ અને શુભ સમય
• તિથિ પ્રારંભ: 1 ઓગસ્ટ 2026, શનિવાર રાત્રે 11:06 વાગ્યે
• તિથિ સમાપ્તિ: 2 ઓગસ્ટ 2026, રવિવાર રાત્રે 11:14 વાગ્યે
ચતુર્થીના ઉપવાસનો નિર્ણય ચંદ્રોદય વ્યાપિ તિથિ અનુસાર લેવામાં આવે છે.
આથી સંકષ્ટી ચતુર્થીનો ઉપવાસ:
2 ઓગસ્ટ 2026, રવિવાર
પૂજનનો શુભ સમય:
સવારે 7:38 થી બપોરે 12:33 સુધી
ચંદ્રદર્શનનો સમય:
રાત્રે 9:26 વાગ્યે
ચંદ્રદર્શન અને ઉપવાસ પારણું
સંકષ્ટી ચતુર્થીનું વ્રત ચંદ્રદર્શન વિના પૂર્ણ માનવામાં આવતું નથી. તેથી રાત્રે ચંદ્રોદય થયા બાદ ચંદ્રદેવના દર્શન કરી તેમને ફૂલ, અક્ષત (ચોખા) અને જળ અર્પણ કરવું. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની પ્રાર્થના કરીને વ્રતનું પારણું કરવું.
આ દિવસે કયા સ્વરૂપના ગણેશજીનું પૂજન કરવું?
અષાઢ માસની સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશના ભાલચંદ્ર સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે.
'ભાલચંદ્ર' એટલે જેમના ભાલ (કપાળ) પર ચંદ્ર શોભે છે તેવા ભગવાન શ્રી ગણેશ. આ સ્વરૂપનું પૂજન કરવાથી મનની શાંતિ, બુદ્ધિ, યશ, સમૃદ્ધિ અને જીવનના તમામ વિઘ્નો દૂર થાય છે તથા ભગવાન શ્રી ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.