સોમવાર, 31 જુલાઈ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ચૌદમો | Purushottam Maas Katha Adhyay 14 in Gujarati | Adhyay 14 | | Adhik Mass 2023 | Okhaharan |

 પુરુષોત્તમ માસ કથા અધ્યાય ચૌદમો |  Purushottam Maas Katha Adhyay 14 in Gujarati  | Adhyay 14 | | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-14-in-gujarati
purushottam-maas-katha-adhyay-14-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય ચૌદમો  દ્દઢધન્વાના પુનર્જન્મની કથા અને અમૃત ધારા જે વાતૉ કહેવાય તાવડી તપેલીની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય તેરમો 


દ્દઢધન્વાના પુનર્જન્મની કથા 


શ્રી નારાયણ બોલ્યા : “ નારદ ! એ રાજા એમ ચિંતાતુર બની ઉદાસીમાં ડૂબી ગયો હતો. એક વખત તેને ઘેર વાલ્મીકિ ઋષિ પધાર્યા. રાજા ભક્તિ સહિત તેમનાં ચરણોમાં નમી પડ્યો. તેણે ઋષિને પ્રણામ કર્યાં, તેમના ચરણકમળ ધોઈ પૂજા કરી, તેમને ઉચ્ચ આસને બેસાડ્યા અને સ્નેહાળ વાણીથી કહેવા માંડ્યું.


દ્રઢધન્વા બોલ્યો :  “હે ભગવન ! આજે આપના દર્શનથી  મારો જન્મ સફળ થયો છે. ખરેખર, મારાં ભાગ્ય મોટાં છે કે આપ જેવા મુનિનો સત્સંગ મને પ્રાપ્ત થયો.”


શ્રી નારાયણ બોલ્યા : “ મુનિશ્રેષ્ઠ વાલ્મીકિને એમ કહી રાજા બોલતો બંધ થયો. પ્રસન્ન થયેલા મુનિ વાલ્મીકિ પણ તેની આગતા-સ્વાગતાથી ખૂબ પ્રસન્ન થયા. પણ રાજાને ચિંતામગ્ન જોઈને તે બોલ્યા : “હે શ્રેષ્ઠ રાજા ! ધન્ય છે. તારાં વાણી, વિવેકથી હું પ્રસન્ન થયો છું. પણ મને લાગે છે કે તું કોઈ મોટી ચિંતામાં છે. તારા મનમાં જે કાંઈ હોય તો હે મહાબુદ્ધિમાન ! તે તું મને વિના સંકોચે કહે.”


દ્રઢધન્વા બોલ્યો :  “આપનાં ચરણકમળની કૃપાથી મને હંમેશા સુખ જ છે. રાજપાટ, હાથી, ઘોડા, સેના, ચાર પરાઅક્રમી પુત્રો, સર્વ લક્ષણા સુંદર પત્ની બધું જ છે. પરંતુ એક જંગલી પોપટના મુખેથી નીકળેલા વચનો મને સાલ્યાં કરે છે. તે વિષેનો સંશય આપ દૂર કરો. એ પક્ષી પર જેટલામાં મારી નજર ઠરી તેટલામાં એ મારી સામે મોઢું કરી, એક શ્ર્લોક બોલ્યો.


 “વિદ્યમાનતુલ સુખ મા ભોક્યાતીવ ભૂષમલેન I
ચિનાયસિ તત્યં ત્વં તન કથાં પારમેશ્યસિ II


                 હે મુનિ ! મને જોઈને એ પોપટે આવી શ્ર્લોકવાણી શા માટે કરી ? તે હું એ સમજી શકતો નથી. એ પોપટની વાણીથી મારું મન બેચેન બની ગયું છે અને એ જ ચિંતા મને કોરી ખાય છે. વળી, મને  એ વાતનું પણ આશ્ચર્ય થાય છે કે મારા એવા ક્ય પુણ્યબળનાલીધે હું આ સુખ-વૈભવ પામ્યો છું. આપ મારો સંશય દૂર કરવા શક્તિ માન છો, તો મને બધું જણાવો.”

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


રાજાનું એ વાક્ય સાંભળી મુનિશ્રેષ્ઠ વાલ્મીકિએ ધ્યાનમગ્ન બની ભૂત, ભવિષ્ય, વર્તમાન જે કંઈ છે એ બધું હાથમાં રહેલા આમળાની પેઠે સ્પષ્ટ જોઈ લીધું ને પછી હૃદયમાં નિશ્ચય કરી રાજાને કહ્યું :” હે શ્રેષ્ઠ રાજા ! તારા પૂર્વજન્મનું ચરિત્ર સાંભળ. હે રાજેન્દ્ર ! પૂર્વજન્મમાં તું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થયેલો સુદેવ નામે બ્રાહ્મણ હતો.ને તામ્રવર્ણી નદીના કિનારે રહેતો હતો. તું ધાર્મિક, સત્યવાદી અને ધાર્મિક વૃતિવાળો વેદપારંગત અને જે મળે તેમાં જ સંતુષ્ટ રહેનારો હતો. તેં અગ્નિહોત્ર આદિ યજ્ઞોથી શ્રીહરિ વિષ્ણુને પણ સંતુષ્ટ કર્યા હતા.


તારી પત્ની પણ ઉત્તમગુણોવાળી અને સુંદર હતી. તે ગૌતમ બ્રાહ્મણની પુત્રી હતી. તેનું નામ ગૌતમી હતું. ગૌતમી પ્રેમથી પતિ સેવા કરતી હતી. તે જ પ્રમાણે ધર્મપૂર્વક તું વર્તતો હતો. એ રીતે ઘણો લાંબો કાળ વીતી ગયો છતાં તને કંઈ સંતાન થયું નહિ.


એક વખતે તું આસન પર બેઠો હતો. તારી પત્ની સેવા કરી રહી હતી. ત્યારે તેં પત્ની પ્રત્યે આ વચન કહ્યું : “ઓ સુંદરી ! સંસારમાં પુત્રથી અધિકબીજું કોઈ સુખ નથી. તપ-દાનથી ઉત્પન્ન થયેલ પુત્ર જ પરલોકમાં સુખ આપે છે. સંતાન વગરનોસંસાર સ્મશાનવત છે. પણ હું સંતાન પ્રાપ્ત ન કરી શક્યો એટલેમને હવે જીવવાનું નકામું લાગે છે. એટલે હવે હું મૃત્યુંની ઈચ્છા રાખું છું.”


પતિનાં આવાં નિરાશાજનક વચનો સાંભળી ગૌતમીને ઘણું દુ:ખ થયું. તે ઘણી જ જ્ઞાનીઅને પતિ ઉપરના પ્રેમથી તરબોળ હતી. તે ધીરજવાળી હતી તેથી પતિને આશ્વાસન આપવા માટે આવું શાંતિજનક વચન બોલી.
ગૌતમીએ કહ્યું : “હે પ્રાણેશ્વર ! આવા તુચ્છ વાક્યો તમે ન બોલો. તમે જ્ઞાની અને વિદ્વાનછો. તમારા જેવા વૈષ્ણવ શૂરવીરના મુખમાં આવાં વચનો શોભતાં નથી. તમે હંમેશા સત્યધર્મમાં તત્પર રહી, એના બળે સ્વર્ગ જીત્યા છો, જો તમને પુત્રની ઈચ્છા હોય તો શ્રી જગન્નાથની ભક્તિપૂર્વક આરાધના કરો. તે તમારા કષ્ટોને દૂર કરશે. જે ભગવાનનું આરાધન કરી પૂર્વે કર્દમઋષિએ સાંખ્ય શાસ્ત્રના આચાર્ય યોગીઓમાં શ્રેષ્ઠ તેવા પ્રખ્યાત કપિલદેવને પુત્ર તરીકે પ્રાપ્ત કર્યા હતા.”


ધર્મપત્નીનું એવું વચન સાંભળી બ્રાહ્મણોના શિરોમણિ સુદેવે એ પ્રમાણે કરવા નિશ્ચય કર્યો અને પછી પોતાની એ પત્ની સાથે તામ્રવર્ણી નદીના કિનારા પર તે ગયો. ત્યાં જઈ તેણે સૂકાં પાંદડાં અને જળૅનો આશરો લઈ મહાભયંકર તપ આદર્યું. આરીતે તપ કરતાં તેને ચાર હજાર વર્ષ વીતી ગયાં.
તપના ભંડાર એ સુદેવના તપથી ત્રણે લોક કંપવા લાગ્યા. ત્યારે ભક્તવત્સલ ભગવાન તેનું એ ઉગ્ર તપ જોઈ તરત જ ગરુડ પર બેસી ત્યં પ્રગટ થયા.
નવા મેઘ જેવા શ્યામ, પ્રસન્ન મુખવાળા અને જગતનું રક્ષણ કરવામાં સમર્થ એવી ચાર ભુજાઓથી યુક્ત જણાતા એ મુરારિના દર્શન કરી સુદેવ બ્રાહ્મણે હર્ષથી તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યાં.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“દ્દઢધન્વાના પુનર્જન્મની કથા” નામનો ચૌદમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  


તાવડી તપેલીની વાર્તા


એક નગરમાં બ્રાહ્મણ-બ્રાહ્મણી વસે. બંને ઘણાં ધર્મિષ્ઠ અને સંતોષી જીવ. સંતાનમાં ચાર દીકરી અને બે દીકરા. દીકરીઓતો પરણીને સાસરે ચાલી ગઈ. દીકરા નાના હતા. બ્રાહ્મણીની ઉંમર થઈ ગયેલી તેથી કામ કરતાં થાક લાગે. રાંધવા-છંધવાની કડાકુટમાં કથા-વાર્તામાં જવાય નહી.


એવામાં પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણી વિચારવા લાગી કે પ્રભુએ રાંધવાની ચિંતા નઆપી હોત તો નિરાંતે પ્રભુભક્તિ કરત. આ રાંધવાની લપમાં અર્ધો દિ’ બગડે છે. દેવ-દર્શને જવાતું નથી. પ્રભુ દયા કરે અને તૈયાર રસોઈ મળે તો ભક્તિનું ભાથું બાંધી લઈએ.


બ્રાહ્મણીની પ્રાર્થના પ્રભુએ સાંભળી. રાતે સપનામાં દર્શન દઈને કહ્યું કે “સવારે તને દેવતાઈ તાવડી-તપેલી મળશે. તાવડીમાં તાવેથો ફેરવીશએટલે ઉના ઉના રોટલા મળશે અને તપેલીમાં કડછી હલાવીશ એટલે મેવા-મીઠાઈ મળશે, પણ આ વાત તું કોઈને ન કહેતી.”


સવારે દેવતાઈ તાવડી-તપેલી મળતાં બ્રાહ્મણી તો રાજી રાજી થઈ ગઈ. રાંધવાની લપ ગઈ. પ્રાત:કાળે ઊઠીને નદીએ નહાવા જાય. વાર્તા સાંભળે, દેવદર્શન કરે, કથા સાંભળેને છેક બપોરે ઘેર આવે. તાવડીમાં તાવેથો ફેરવે, એટલે ઉના ઉના રોટલા મળે અને તપેલીમાં કડછી ફેરવે એટલે મેવા મીઠાઈ મળે.


બ્રાહ્મણ-બ્રાહ્મણી નિરાંત જીવે પ્રભુભજન કરે છે, પણ છોકરાઓને નવાઈ લાગી કે મા આટલી જલદી રસોઈ કેવી રીતે બનાવી નાંખે છે ?  નથી એ ચૂલો સળગાવતી કે નથી એ લોટ બાંધતી અને રોજ રોજ મેવા-મીઠાઈ મળે છે. આનું રહસ્ય શું હશે ? એ જાણવા એક દિવસ છોકરાઓએ તિરાડમાંથી જોઈને બધું જાણી લીધું.છોકરા તો ભોળા જીવ. એમણે એમના મિત્રોને વાત કરી. એકે બીજાને, બીજાએ ત્રીજાને એમ કરતાં આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. ઊડતી ઊડતી વાત રાજાના મહેલે આવી. રાણીએ જાણ્યું એટલે રાજા આગળ હઠ પકડી. કહે : “આવાં દેવતાઈ તાવડી-તપેલી તો મહેલમાં જ શોભે. મને એ લાવી આપો.”


રાજાએ પ્રધાનને સો સોનામહોર આપીને તાવડી-તપેલી લેવા મોકલ્યા. પ્રધાને બ્રાહ્મણ પાસે જઈને સોનામહોરો ધરી અને તાવડી-તપેલી માંગ્યાં. પણ બ્રાહ્મણે તાવડી-તપેલી આપવાની ના પાડી દીધી. બ્રાહ્મણ હાથ જોડી બોલ્યો : “મંત્રીશ્રી ! આ તાવડી-તપેલી તો મારા પુરૂષોત્તમ પ્રભુની પ્રસાદી છે. તેમણે મારા ઉપર પ્રસન્ન થઈને આપી છે, તે હું કેવી રીતે આપી શકું ?”
પ્રધાને જઈને રાજાને વાત કરી કે બ્રાહ્મણ તો તાવડી-તપેલી આપવાની ના પાડે છે. આથી રાજાએ વધારે ધનની લાલચ આપી, પણ બ્રાહ્મણે તો ચોખ્ખી ના પાડી દીધી કે લેવું હોય તો મારું માથું લઈ લો, પણ તાવડી-તપેલી તો કોઈ કાળે નહીં મળે.


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


આથી રાજા રોષે ભરાયો અને સેનાપતિને હુકમ કર્યો કે “જાઓ, જઈને એ બ્રાહ્મણના ઘરેથી તાવડી-તપેલી લઈ આવો. બ્રાહ્મણ ન માનેતો ઝૂંટવીને લઈ આવો.” સેનાપ્તિ તો આવ્યો બ્રાહ્મણના ઘરે. બ્રાહ્મણે બહુ વિનંતી કરી, પણ સેનાપતિ તો ઉઘાડી તલવારે ગયો રસોડામાં. જ્યાં તપેલીને હાથ લગાવ્યો ત્યાં તો એના હાથ તપેલી સાથે અને પગ જમીન સાથે ચોંટી ગયા. તેણે હાથ ઉખાડવાની અને પગ હલાવી જમીનથી છૂટવાની ઘણી કોશિશ કરી પણ ન હલી શકે ન ચાલી શકે.


સિપાહીઓએ જઈને રાજાને સમાચાર આપ્યા. ક્રોધથી ધુંઆપુંવા થતો રાજા જાતે આવ્યો. સેનાપતિને છોડાવવા ગયો તો એ પણ ચોંટી ગયો.
તમાશાને તેડું ન હોય. લોકો ભેગા થવા લાગ્યા. રાજાની ભોંઠપનો પાર નથી. રાણી સમજી ગઈ કે પ્રભુ કોપ્યા છે. એ તો બ્રાહ્મણ-બ્રાહ્મણીને હાથ જોડીને માફી માંગવા લાગી.


તત્કાળ આકાશવાણી થઈ : “હે રાજા ! તું તારો ધર્મ ચૂક્યો. પ્રજાનું પાલન કરવાના બદલે લૂંટવા તૈયાર થયો. જો તારે મુક્ત થવું હોય તો બ્રાહ્મણ-બ્રાહ્મણીને હજાર સોનામહોર આપ. આ પવિત્ર માસમાં જે સુવર્ણદાન કરે છે એ સર્વ પાપમાંથી મુક્ત બને છે.” આકાશવાણી સાંભળીને રાણીએ તરત મહેલમાંથી સોનામહોર મંગાવીને દાન કર્યું. રાજા અને સેનાપતિ મુક્ત થયા. સર્વત્ર પુરૂષોત્તમ પ્રભુનો જય જયકાર થવા લાગ્યો.


હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા બ્રાહ્મણ-બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો.


                                        Gujarati Bhakti Lekh on Whatsapp


આજે સોમવારે કરો શિવજીના 108 નામ જાપ ગુજરાતી લખાણ સાથે


 આજે સોમવારે શિવ કૃપા માટે  " શ્રી શિવ સ્તુતિ " ગુજરાતી લખાણ સાથે






દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 29 જુલાઈ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય તેરમો | Purushottam Maas Katha Adhyay 13 in Gujarati | Adhyay 13 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય તેરમો |  Purushottam Maas Katha Adhyay 13 in Gujarati  | Adhyay 13 | | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-13-in-gujarati
purushottam-maas-katha-adhyay-13-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય તેરમો : દ્દઢધન્વાની કથા અને અમૃત ધારા જે વાતૉ કહેવાય મૌન મહિમાની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય બારમો 


અધ્યાય તેરમો : દ્દઢધન્વાની કથા


શૌનકાદિ ઋષિઓએ પૂછ્યું : “હે મહાભાગ્યશાળી સુત ! જેમ અમૃત પીતાં તૃપ્તિ થાય નહી તેમ અમને તૃપ્તિ જ થતી નથી. હવે અમને પૂર્વે સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા દ્રઢધન્વા રાજાને પુરૂષોત્તમ માસના સેવનથી પુત્ર-પૌત્ર અને પતિવ્રતા પત્ની કેવી રીતે મળી અને યોગીઓને પણ દુર્લભ એવા ભગવાનના લોકને કેવી રીતે પામ્યો તે કથા અમને વિસ્તારથી કહો.”
સુત બોલ્યા : “હે બ્રાહ્મણો ! હે મુનિઓ ! રાજા દ્રઢધન્વાનું ચરિત્ર પાપોનો નાશ ક્કરનાર છે. રાજા દ્રઢધન્વાની કથા ગંગાની પેઠે પવિત્ર કરનારી છે, તેથી ગુરુના મુખેથી હું જે પ્રમાણે ભણ્યો છું તે પ્રમાણે તમને કહું છું.”
હૈહય દેશનું રક્ષણ કરનાર ચિત્રધર્મા નામે પ્રખ્યાત રાજા હતો. તેને દ્રઢધન્વા નામે પ્રખ્યાત પુત્ર થયો હતો. તે સર્વ ગુણોથી યુક્ત, સત્ય બોલનારો, ધર્મને જાણનારો અને શૂરવીર હતો. વેદ-પુરાણો શાસ્ત્રોનો અભ્યાસ કરી વિદ્યાભ્યાસ પૂર્ણ થતાંતે ગુરુને દક્ષિણા આપી પોતાના નગરમાં પાછો આવ્યો. ચિત્રધર્મા પણ પોતાનાપુત્રને જોઈ પરમ હર્ષ પામ્યો.

તે પછી પોતાના એ યુવાન પુત્રને સર્વ ધર્મનો જાણકાર અને પ્રજાનું પાલન કરવા સમર્થ છે એમ જાણી ચિત્રધર્માના મનમાં સંસારપ્રત્યે વૈરાગ્ય ઊપજ્યો અને તેણે મનમાં વિચાર્યું કે “હવે આ સંસારમાં મારે શું કામ છે ? હવે હું નિરાંતે પ્રભુભક્તિ કરીશ.” એમ મનમાં નિશ્ચય કરી તેણે સમર્થ દ્રઢધન્વાને રાજ્યનો કારભાર સોંપી દીધો. પોતે વૈરાગ્ય પામી પુલહ ઋષિના આશ્રમમાં જતો રહ્યો અને શ્રીહરિની ભક્તિ કરતાં તે પ્રભુશરણ થયો. દ્રઢધન્વાએ પણ પોતાના પિતાને વૈષ્ણવ ધામની પ્રાપ્તિ થઈ છે એ વાત સાંભળી.


તેથી તેને હર્ષ અને શોક બંને થયા. તેણે યોગ્ય રીતે તેમનું શ્રાદ્ધકર્મ કર્યું અને બ્રાહ્મણૉને જમાડી દાન-પુણ્ય કર્યું. પોતે નીતિશાસ્ત્રમાં પ્રવીણ રાજા તરીકે પુષ્કરાવર્તક નામના પવિત્ર નગરમાં રાજ્ય કરવા લાગ્યો. સમય જતાં વિદર્ભ દેશની અતિ સુંદર રાજકુંવરી ગુણવંતી સાથે તેના વિવાહ થયા.તેણીએ ચાર પુત્રોને જન્મ આપ્યો.શુભ લક્ષણોવાળી પુત્રીને પણ તેણે જન્મ આપ્યો, જેનું નામ ચારુમતી હતું. ચાર પુત્રો પણ ચિત્રવાક, ચિત્રવાહ,મણિમાન તથા ચિત્રકુંડલ, એવા નામોથી પ્રખ્યાત હતા. બધાય વિવેકી, સુંદર તથા શુરા હતા.

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


દ્રઢધન્વા અનેક ગુણોથી પ્રખ્યાત હતો. જાણે બીજા રામચંદ્ર હોય તેમ એક પત્નીવ્રતને તે ધારણ કરતો હતો. ઉત્તમ ધર્મપાલન કરતો હતો અને બીજા કાર્તિકવીર્ય (સહસ્ત્રાર્જુન) પેઠેઅતિશય ઉગ્ર પરાક્રમવાળો પણ હતો.
એક વખત રાત્રે દ્રઢધન્વા સૂતો હતો તે વેળા તેને વિચાર આવ્યો કે આ આશ્ચર્યકારક વૈભવ, આટલું બધું સુખ કયા મોટા પુણ્યથી મને પ્રાપ્ત થયું હશે ? ના મેં આ જન્મમાં કોઈ વ્રત કર્યું છે, ના કોઈ તપ કર્યું છે, ના જપ કર્યાછે, ના હોમ-હવન કર્યા છે, છતાં પણ મને આટલી બધી સમૃદ્ધિ ક્યા કારણે પ્રાપ્ત થઈ છે. મારા ભાગ્યનું આ રહસ્ય મારે કોને પૂછવું ? એમ વિચાર્યા કરતો હતો એટલામાં રાત્રિ સમાપ્ત થઈ.


ઉદય પામતા સૂર્યની પૂજા કરી, બ્રાહ્મણોને નમસ્કાર કરી દાન દીધાં. એ પછી તે ઘોડા પર સવાર થયો અને પોતાના રસાલા સાથે જંગલમાં શિકારે નીકળ્યો. ત્યાં તેણે ઘણા મૃગો માર્યાં. પણ એક મૃગની પાછળ દોડવા જતાં તે પોતાના સિપાહીઓથી છૂટો પડી ગયો. રાજાએ એ મૃગને શોધવા ઘણો પ્રયત્ન કર્યો, પણ મૃગ ક્યાંય જંગલમાં અદ્રશ્ય થઈ ગયું. એટલે થાકેલો રાજા એક સરોવરના કાંઠે આવીને ઊભો. ત્યાં એક મોટું ઝાડ જોયું, આથી થાકેલો રાજા એક વડવાઈએ ઘોડો બાંધીને સરોવરમાંથી પાણી પી પોતાની તરસ છીપાવી આરામ કરવા ત્યાં બેઠો.”


એટલામાં ત્યાં પોપટ આવ્યો. એ પોપટ ત્યાં બેઠેલા દ્રઢધન્વાને સંબોધી એક ઉત્તમ શ્ર્લોક બોલવા માંડ્યો.”હે રાજા ! તું પૃથ્વી ઉપર મળેલા સુખ-વૈભવમાં જ રચ્યોપચ્યો રહે છે, જીવનના સારરૂપ તત્વને તું ભીલી ગયો છે. જો તું એ તત્વનો વિચાર નહીં કરે તો તું ભવપાર કેવી રીતે થઈશ ? જીવનના સાચા સિદ્ધિરૂપ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ ?” પોપટનાં આવાં ઉપદેશાત્મક બોધવચનો સાંભળી રાજા નવાઈ પામ્યો. તેને લાગ્યું કે આ કોઈ સામાન્ય પોપટ નથી, પણ મુનિ શુકદેવજી પોતે તેને ઉપદેશ આપી રહ્યા છે. સંસારસાગરમાં ડૂબેલા મારાજેવા અજ્ઞાનીનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણે જ મોકલ્યા લાગે છે. રાજા આવો વિચાર કરતો હતો એટલામાં રાજાના સિપાહીઓ પણ ત્યાં આવી પહોંચ્યા.”


પેલો પોપટ રાજાને બોધ આપી અદ્રશ્ય થઈ ગયો. વિચારોમાં ડૂબી ગયેલો રાજા સેના સાથે પોતાના રાજ્યમાં આવ્યો. રાજમહેલમાં આવ્યા પછી પણ તે પોપટના વિચારોમાં જ ડૂબેલો રહ્યો. તેને ખાવા ભાવ્યું નહીં. રાત્રે તેની ઊંઘ પણ જતી રહી. રાજાનેઆરીતે ચિંતામગ્ન જોઈ તેની રાણી એકાંતમાં પાસે આવી રાજાને પૂછવા લાગી.


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  


ગુણસુંદરી બોલી : “ઓ પુરુષોત્તમ શ્રેષ્ઠ ! આ ઉદાસીનતા તમને ક્યાંથી આવી ! આટલા કેમ હતાશથઈ ગયા છો ? બધી ચિંતાઓ છોડી ભોગ ભોગવો અને આનંદિત થાઓ.” પરંતુ પત્નીના પ્રમ નિવેદનથી પણ રાજાની ચિંતા ઓછી થઈ નહીં. તે ઉદાસીમાં ડૂબી ગયો.


પતિના દુ:ખથી રાણીને ઘણું દુ:ખ થયું. રાજા દ્રઢધન્વા કઈ ચિંતામાં ડૂબી ગયો હશે તે જાણવાની તેણે ઘણી કોશિશ કરી, પણ રાજાને એ સંદેહરૂપ સમુદ્રમાંથી બહાર કાઢે તેવો કોઈ ઉપાય તેના જોવામાં ન આવ્યો.
રાજાને સતત ઘેરી વળેલી ઉદાસીથી મંત્રીઓ, સેનાપતિ,દાસ-દાસીઓ, નગરજનો પણ ચિંતામાં ડૂબી ગયા.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“દ્દઢધન્વાની કથા” નામનો તેરમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


મૌન મહિમાની વાર્તા


અવંતિ નગરીમાં ચાર વેદમાં નિપુણ એવો જ્ઞાની બ્રાહ્મણ રહે. તપ-જપ-વ્રતમાં સૌથી આગળ રહે. મહીના મહીનાના ઉપવાસ્સ કરે. પાંચ પાંચ વર્ષના ધારણા-પારના કરે. એમ કરતા એ સિત્તેર વર્ષનો થયો. ઉગ્ર તપના કારણે એની કાયા કૃશ થઈ ગઈ. અશક્તિ એટલી આવી ગઈ કે લાકડીના ટેકે માંડ પાંચ ડગલા ચાલી શકે.


એમ કરતાં પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે આખો મહિનો ઉપવાસ કરવાનો સંકલ્પ લીધેલો પણ આ ઉંમરે મુશ્કેલી ઊભી થઈ. ચાલીને નદી સુધી તો જવું જ પડે.શરીરમાં એટલી શક્તિ તો હતી જ નહિ. છતાયબ્રાહ્મણે હિંમત કરી. મધરાતે લાકડીના ટેકે ચાલતો થયો, તે થાક ખાતો ખાતો છેક સવારે નદીએ પહોંચ્યો. સ્નાન કરી, વાર્તા સાંભળીને પાછો ફર્યો. ઘેર આવતા બપોર ઢળી ગયા. પાણી પીવાનાય હોશ ન રહ્યા. સિધો પડ્યો પથારીમાં, થાકના કારણે આંખ મળી ગઈ. સપનામાં પુરુષોત્તમ પ્રભુના દર્શન થયા.

રવિવારે કરો સૂર્ય નારાયણ દેવનો આદિત્ય સ્તોત્ર


પ્રભુ બોલ્યા : “હે ભક્ત ! તારા દુર્બળ દેહથી શક્ય ન હોવા છતાં તે તારો સંકલ્પ તુટવા ન દીધો તેથી હું ઘણો પ્રસન્ન થયો છું, પરંતુ એક જ દિવસના ઉપવાસે તારી આ હાલત કરી નાખી છે તો તું આખો મહિનો કઈ રીતે ટકીશ ? તારુ વ્રત તુટશે, તારો સંકલ્પ તુટશે; તેથી તું દોષમાં પડીશ. હે વત્સ ! તારી દ્રઢ શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે તારી પ્રીતિ જોઈને હું તારા પર અતિ પ્રસન્ન થયો છું. તારો સંકલ્પ ન તુટે એવો રસ્તો ચીંધવા આવ્યો છું. હે ભક્ત, મૌનનો મહિમા અપાર છે. પુરૂષોત્તમમાસમાં જે મૌન પાળે છે તે ભોજન લે તો પણ તેનો બાધ નથી. તું મૌન વ્રત ધારણ કર. સુર્યોદય સુધી મૌન રાખવાનું. વળી જે નદીમાં સ્નાન કરતા મૌન ધારણ કરે છે તે પુત્રવાન અને આયુષ્યવાન બને છે. તેનું મુખમંડલ અતિ તેજસ્વી બને છે.
માર્ગ દેખાડીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા.


બ્રાહ્મણે તત્કાળ આખો મહિનો મૌન વ્રત ધારણ કરવાનો સંકલ્પ કર્યો. વ્રત પૂર્ણ થયે પ્રભુ પ્રગટ થયા અને બ્રાહ્મણને અખૂટ સમૃદ્ધિ આપી.
આયુષ્ય પૂર્ણ થતા6 બ્રાહ્મણ સદેહે ગોલોકમાં ગયો.


આમ, એકટાણા કરવા છતાં મૌનવ્રતના પ્રતાપે બ્રાહ્મણનું જીવન સાર્થક થયું. શાસ્ત્રો કહે છે કે એ બ્રાહ્મણના એક દિવસના મૌનવ્રતના ફળથી ઈન્દ્રરાજાએ વૃત્રાસુર રાક્ષસનો વધ કર્યો હતો.


ન બોલ્યામાં નવ ગુણ, બોલ્યે બગડી જાય;
મૌન તણો મહિમા ઘણો, પુરૂષોત્તમ પ્રસન્ન થાય.


          “પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા મૌનવતી બ્રાહ્મણને ફળ્યા એવા સૌને ફળજો.”



Gujarati Bhakti Lekh on Whatsapp






પુરુષોત્તમ માસ કથા અધ્યાય બારમો | Purushottam Maas Katha Adhyay 12 in Gujarati | Adhyay 12 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય બારમો |  Purushottam Maas Katha Adhyay 12 in Gujarati  | Adhyay 12 | | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-12-in-gujarati
purushottam-maas-katha-adhyay-12-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય બારમો મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય અદેખી ભાભીની વાર્તા.

પુરુષોત્તમ માસ કથા અધ્યાય અગિયારમો  


અધ્યાય બારમો : મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ


નારદે કહ્યું : “હે નાથ ! ભગવાન શંકર અંતરધ્યાન થઈ ગયા, તે પછી તે મુનિ કન્યાનું શું થયું તે મને વિગતે આપ કહો, કેમકે ધર્મની સિદ્ધિ માટે મને એ સાંભળવાની ઈચ્છા છે.”


શ્રી નારાયણ બોલ્યા : “આ જ પ્રમાણે પૂર્વે યુધિષ્ઠિર રાજાએ શ્રીકૃષ્ણને પૂછ્યું હતું. તે વખતે એમણે રાજા યુધિષ્ઠિરને જે કહ્યું હતું તે હું કહું છું. સાંભળો –


શ્રીકૃષ્ણેકહ્યું : “ હે રાજન ! ભગવાન શિવ વરદાન આપી અદ્રશ્ય થઈ ગયા પછી આવા વિચિત્ર વરદાનથી એ તપસ્વિની કુમારીના હૃદયમાં શોકરૂપીઅગ્નિની જ્વાળા ભભૂકી ઊઠી. તે ચિંતામાં અને નિરાશામાં ડૂબી ગઈ. ઉદાસીએ તેને ઘેરી લીધીઅને દિવસે દિવસે તે કૃશ થઈ કાળને વશ થઈ મૃત્યુ પામી.


તે સમયે પૃથ્વી પર ધર્મિષ્ઠ રાજા યજ્ઞસેને મોટી સામગ્રીઓથી ભરપુર ઉત્તમ યજ્ઞ શરૂ કર્યો હતો. ત્યારેયજ્ઞકુંડમાંથી સોના જેવી કાંતિવાળી સુંદર કુમારી જન્મી, જે દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામે લોકમાં પ્રખ્યાત થઈ.


આ જ દ્રૌપદીને વિવાહ યોગ્ય થતાં દ્રુપદરાજાએ યોજેલ સ્વયંવરમાં અર્જુને, કર્ણાદી જેવા મહાપરાક્રમી રાજાઓનું માન-મર્દન કરી માછલીની આંખ વીંધી દ્રૌપદીને પ્રાપ્ત કરી. પણ માતા કુંતાનું વચન પાલન કરવા માટે તે પાંચે પાંદવોની પત્ની બની.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે



“હે રાજન ! એમ પૂર્વેઋષિકન્યા જે મેઘાવતી હતી તે હાલ બીજા જન્મમાં દ્રૌપદી નામે પ્રસિદ્ધ થઈ છે. તેણે પૂર્વજ્ન્મમાં પુરૂષોત્તમ માસનું અપમાન કર્યું હતું, તેના લીધે તેને દુષ્ટ દુ:શાસને વાળૅથી પકડિ તેનાં વસ્ત્રો ખેંચ્યા હતાં. દ્રૌપદી આ સાંભળી બોલી: “હે ઈન્દ્રિયોના નિયંતા ! મારે તો બધૂ6યે આપ જછો. દુ:શાસને દુ:ખી કરેલી મને શું આપ નથી જાણૅતા ? “
“પાપી દુ:શાસને દ્રૌપદીને ભરી સભામાં વસ્ત્રહીન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે મને કરુણ સ્વરે પોકાર કર્યો. એટલે હે રાજન ! તરત ગરુડ પર ચડી ત્યાં આવી બાજુ પર ઊભા રહી મેં જ આ દ્રૌપદીને અનેક વસ્ત્રો પૂર્યાં હતાં અને તેની લાજ રાખી હતી.


 હે રાજન! પુરૂષોત્તમ માસ સર્વ ફળ આપનારો છે. આ માસ અત્યંત  પવિત્ર અને સર્વકામનાઓ  પૂર્ણ કરનાર છે. સૂરસૂર-નાગ-મુનિ સર્વે આ માસને શ્રદ્ધા અને ભક્તિથી સેવે છે. માટે તમે હવે આવનારા પુરૂષોત્તમ માસનું આરાધન કરો. ચૌદ વર્ષ પૂરાંથતા6 તમારું સંપૂર્ણ કલ્યાણ થશે. તમારાં કષ્ટો નાશ પામશે અને તમારું ગયેલું રાજ પાછું મળશે અને તમે સર્વ પ્રકારે સુખ-સંપત્તિ પામી અંતે મોક્ષને પ્રાપ્ત કરશો.”


 “હે પાંડુપુત્ર રાજા ! દુ:શાસન, દુર્યોધન વગેરે સર્વ દુષ્ટોને હું યમલોકમાં પહોંચાડીશ.યમરાજા તેમને તેમની કરણીનું ફળ આપશે. હું તો તે દુષ્ટોને શિક્ષા કરવા માટે પણ તેની સામે જોતો નથી.”


“હે રાજા યુધિષ્ઠિર ! હવે હું દ્વારકા જઈશ. ત્યાં બધા મારા આવવાની રાહ જોતા હશે. મારાં દર્શન માટે બધા ખૂબ ઉત્સુક રહે છે.’


ભગવાન શ્રીકૃષ્ણે એમ કહ્યું ત્યારે પાંડવો ગળગળાં અવાજે માંડ બોલી શક્યા. હે પ્રભુ ! તમે જ અમારા તારણહાર છો. અમે તમારા શરણે આવેલા છીએ. તમે અમને માર્ગદર્શન આપજો અને અમારી રક્ષા કરજો.” પાંડવોને આશ્વાસન આપી ધીરજ બંધાવી શ્રીકૃષ્ણ દ્વારકા જવા નીકળ્યા.


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  


ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાજવા નીકળ્યા. તે પછી નાના ભાઈઓની સાથે રાજા યુધિષ્ઠિર પણ તેમના વિરહથી ઘણું દુ:ખ પામતાં તીર્થાટન કરવા લાગ્યા.હે નારદમુનિ ! એ પછી પાંદવોએ પુરૂષોત્તમ માસ આવતાં તેનું વિધિ-વિધાનથી પૂજા-જપ-તપ-દાન કર્યું. ભગવાન પુરૂશોત્તમ તેમના ઉપર પ્રસન્ન થયા. એ વ્રતની સમાપ્તિ થયા પછી ચૌદ વર્ષ પૂરાં થતાં જ તેઓએ ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો અને નિષ્કંટક અતુલ રાજ્ય પ્રાપ્ત કર્યું.”


સુતજી બોલ્યા : “હે બ્રાહ્મણો ! મેં પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય મહામુનિ શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે તમને કહ્યું છે. ગોલોકપતિ ભગવાન શ્રીકૃષ્ણે જેને પોતાનો કર્યો છે તે શ્રી પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય દેવો પણ જાણી શકતા નથી તો આપણે પામર મનુષ્યો ક્યાંથી જાણી શકવાના? 


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ” નામનો બારમો અધ્યાય સંપૂર્ણ.


 હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


અદેખી ભાભીની વાર્તા


ભક્તિપુર ગામમાં એક ગરીબ બ્રાહ્મણ-બ્રાહ્મણી રહે. બ્રાહ્મણીનું પિયર ગામમાં જ હતું. ભાઈ ઘણો ધનવાન પણ ભાભી ઘણી અદેખી. તેણે ધણીને એવો વશ કરેલો કે ભાઈ પોતાની બેનને કાંઈ મદદ ના કરે. બ્રાહ્મણીને સાત સાત દીકરા. પેટનો ખાડો માંડ પુરાય. ક્યારેક તો ભૂખ્યા સૂવું પડે પણ તોય બ્રાહ્મણી ઘણી ખાનદાન. ગામમાં ભાઈના વખાણ કરતી ફરે.


એવામાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ વ્રત લીધું.એની અદેખી ભાભીએ પણ વ્રત લીધું. એને સંપત્તિ અપાર હતી, પણ સંતતિ ન હતી. ભાભી તો સોળ શણગાર સજીને પૂજન કરવા જાય. એમ કરતાં વ્રત પૂર્ણ થયું. ઉજવણાનો દિવસ આવ્યો. ભાભીએ ગામના તમામ બ્રાહ્મણોને નોતરી દીધા. છેલ્લે નણંદના ઘેર આવી અને મોં બગાડીને કહેવાલાગી : “લોકલાજે આવવું પડે એટલે આવી છું. બધા જમી લે પછી હું બોલાવું ત્યારે આવજો, કાળમાંથી ઊઠ્યા હોય એમ ભુખાવળાની જેમ દોડી ન આવતા.”
નણંદને ભાભીના વેણ વસમાં તો બહુ લાગ્યાં પણ એ છાના ખૂણે આંસુ સારીને બેસી રહી. છોકરા તો રાજીના રેડ થઈ ગયા. વાહ ભાઈ વાહ ! મામાના ઘેર જમવા જવાનું, અને મેવા-મીઠાઈ ખાવા મળશે, મજા પડી જવાની.

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    


બીજા દિવસે બધાય બ્રાહ્મણો જમી પરવાર્યા પણ ભાભી બોલાવવા ન આવી. છોકરા ધમપછાડા કરે છે. બ્રાહ્મણી “હમણાં આવશે, હમણાં આવશે.” એમ સમજાવીને શાંત પાડે છે. એમ કરતાં સાંજ પડી. દી’ આથમી ગયો. ખાઉં ખાઉં કરતાં બિચારા છોકરા ભૂખ્યા-તરસ્યા સૂઈ ગયા. પણ જમવાનું કહેવા ભાભી ન આવી તે ન જ આવી. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા. રાતે બ્રાહ્મણીએ વિચાર કર્યો કે સવારે છોકરા ઊઠીને ખાવા માંગશે ત્યારે શું આપીશ ? બચારા બાળકોને મામીના સ્વભાવની શું સમજ પડે ? અત્યારે તે માંડ માંડ ઝંપીને સૂઈ ગયા છે પણ સવારે વહેલા ઊઠીને પાછા ખાવાનું માંગશે ત્યારે મારે શું જવાબ દેવો ? છેવટે ન છૂટકે બ્રાહ્મણી તો ચૂપચાપ ગઈ ભાભીના ઘેર. ત્યાં તો રોશની ઝળહળે છે. મંગલગીત ગવાય છે. ઘરના ખૂણે એઠાં પતરાળાંનો ઢગલો પડ્યો છે. બ્રાહ્મણી તો આઠ-દસ પતરાળાં સાડલામાં છુપાવીને ઘેર આવી, એમાં જે એઠું-જૂઠું વધ્યું હતું એના લાડવા વાળીને પતરાળાં ઘરના ખૂણે ફેંકી દીધાં અને સૂઈ ગઈ. એણે વિચાર્યુંકે છોકરા સવારે ઊઠશે એટલે આ લાડવા આપીશ, તો બચારા ખુશ ખુશ થઈ જશે.


રોજની ટેવ પ્રમાણે બ્રાહ્મમુહૂર્તે ઊઠીને એણે દીવો કર્યો. ત્યાં ખૂણામાં કાંઈક ચળકતુ જોયું. જઈને જોયું તો બધાય પતરાળાં સોનાના થઈ ગયાં છે. એણે તો પતિને જગાડ્યો. પતિ-પત્ની વિચાર કરવા લાગ્યા કે આ તો ભાઈનાં પતરાળાં, ભલેને સોનાનાં રહ્યાં તોય આપણાથી ન લેવાય.


બ્રાહ્મણી તો તરત દોડતી ગઈ ને ભાઈને તેડી લાવી. સોનાનાં પતરાળાં બતાવીને બધી વાત કરી ત્યારે બહેનની ખાનદાની જોઈ ભાઈની આંખમાંથી ડબ ડબ કરતાં આંસુ સરી પડ્યાં. એણે એ પતરાળાં બહેનને કાપડામાં દઈ દીધાં. પુરૂષોત્તમ પ્રભુની દયાથી બ્રાહ્મણી પળવારમાં ધનવાન થઈ ગઈ. એણે તો આખા ગામને જમવા તેડ્યું. ભાભીને પણ નોંતરું દીધું. ભાઈ-ભાભી જમવા આવ્યા. ભાણેજ પીરસવા લાગ્યા. મામીના ભાણામાં સવા શેર સોનાનો લાડવો મૂક્યો.


મામી ભડકી ! “કેમ આમ સોનાનો લાડવો મૂકો છો ?”


“મામી!” ભાણેજડા બોલ્યા : “અમે ગરીબ હતા ત્યારે તમે અમને ધિક્કારતા હતા ને બોલાવતા નહોતા અને આજ અમે ધનવાન થયા તો તમે દોડતા આવ્યા. જે કાંઈ છે એ સોનાની કૃપા છે. તમને સોનું વહાલું છે એટલે જમવામાં પણ એ જ દીધું છે. જમો તમ તમારે નિરાંતે !”


મામીની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યાં. એ ઊઠીને નણંદ પાસે આવી અને સાચા દિલથી માફી માંગવા લાગી. નણંદ તો દયાળુ જ હતી. તરત ભાભીને માફ કરી દીધી.


 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


બ્રાહ્મણીની પ્રાર્થનાથી ભાભીનો ખોળો ભરાયો અને સૌ સારા વાનાં થયાં.
 “શ્રદ્ધા થકી જે વ્રત કરે, નર હોય કે નાર;

ફળ તેને લાધશે, નિશ્ચે માનજો એ સાર.”


          હે પુરૂષોત્તમરાય ! તમે જેવા ભોળી બ્રાહ્મણીને ફળ્યા એવા સૈને ફળજો.






અઘિક માસની સુદ પક્ષની પદ્મિની એકાદશી માહાત્મ્ય વ્રત કથા | Padmini Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

 અઘિક માસની સુદ પક્ષની પદ્મિની એકાદશી માહાત્મ્ય વ્રત કથા | Padmini Ekadashi Vrat Katha Gujarati | Okhaharan 

padmini-ekadashi-vrat-katha-gujarati
padmini-ekadashi-vrat-katha-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ અઘિક માસની વદ પક્ષની પદ્મિની એકાદશી માહાત્મ્ય વ્રત કથા 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ 


 ધર્મરાજા આગળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હવે દર ત્રણ વર્ષે આવતા અધિક માસની બંને એકાદશીનાં માહાત્મ્યો કહી સંભળાવું છું. પવિત્ર અધિક માસની શુક્લ એકાદશીનું નામ પદ્મિની છે. આખો માસ વ્રત કરનારે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ એકાદશીનું સંપૂર્ણ ફળ કહેવાની બ્રહ્માજીમાં પણ શક્તિ નથી.


દશમને દિવસે કાંસાના પાત્રમાં ભોજન, અડદ, મસૂર, ચણા, મધ અને પારકા ભોજનનો ત્યાગ કરીને એકટાણું કરવું અને એકાદશીના દિવસે સ્નાનાદિથી નિવૃત થઈને ભગવાન વિષ્ણુનું જ પૂજન કરવું, સ્નાન કરતી વખતે આમળાનું ચૂર્ણ ચોળવું, ભગવાન વારાહથી પવિત્ર થયેલી પૃથ્વીની રજ તથા ગોમય આદિથી પણ સ્નાન કરીને પવિત્ર બનવું. પવિત્ર સ્વચ્છ વસ્ત્રો પહેરીને તાંબા અથવા  માટીના કુંભની સ્થાપના કરી તેમાં ભગવાન નારાયણનું પૂજનપ્રતિષ્ઠા આદિ કરવું. નૈવેદ્ય આદિથી ભગવાનને પ્રસન્ન કરવા આ દિવસે પાપી મનુષ્યો સાથે સંભાષણ, અસત્ય, અન્ન અને અધર્મથી બચવું, બની શકે તો દૂધનો આહાર લઈને કે ફલાહાર કરીને ઉપવાસ કરવો, રાત્રે હરિકીર્તન, ભજન આદિ વડે જાગરણ કરવું. 
બારસને દિવસે કુંભ પર પધરાવેલ ભગવાન નારાયણનું ઉત્તમ ભોજન કરીને બ્રાહ્મણભોજન કરાવીને પારણું કરવું.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


આ વ્રતના પ્રભાવથી મહાબળવાન લંકાપતિ કાર્તવીર્યના હાથે પરાજિત થયો હતો. તેનું આખ્યાન આ પ્રમાણે છે –


ત્રેતાયુગની આ કથા છે. માહિષ્મતિ નામની નગરીમાં હૈહય નામે એક રાજા રાજ્ય કરતો હતો. તેના વંશમાં એક કૃતવીર્ય નામે પુત્ર જન્મ્યો હતો; તેને એક હજાર સ્ત્રીઓ હતી, પરંતુ કોઈના ઉદરથી પુત્ર જન્મ થયો ન હતો. રાજાએ એના માટે અનેક તપો, વ્રતો અને નિયમો લેવડાવ્યા, પરંતુ કોઈ ફળ મળ્યું નહીં, નિરાશ થયેલા કૃતવીર્યને આખરે વૈરાગ્ય આવી ગયો. મંત્રીઓને રાજ્ય સોંપીને તે જંગલમાં ચાલી નીકળ્યો.


એક હજાર રાણીઓમાં વધારે માનીતી હરિશ્ચંદ્રની પુત્રી પદ્મિની પોતાના પતિની પાછળ પાછળ ચાલી. રાજ્ય સુખ-સંપત્તિનો તેણે પોતાના પતિની ખાતર ત્યાગ કર્યો. ગંધમાદન પર્વત પર પોતાના પતિની પાછળ પાછળ ફરવા લાગી. રાજાએ એ પર્વત પર બેસીને દશ હજાર વર્ષ સુધી તપ કર્યું. આ તપથી રાજાનું શરીર હાડપિંજર જેવું બની ગયું.


એક વાર પદ્મિનીએ મહાસતી અનસૂયાને પ્રશ્ન કર્યો :”હે માતા ! મારા પતિદેવ હજારો વર્ષોથી પુત્રસુખ માટે તપ કરી રહ્યા છે, છતાં એ તપના ફળદાતા ભગવાન કેમ પ્રસન્ન થતા નથી !


અનસૂયાએ કહ્યું : “હે પરમસાધ્વી ! પુત્રનું વરદાન મેળવવા ભગવાનને પ્રસન્ન કરવા અને તપ કરવાની જરૂર નથી, અધિક માસની શુક્લ એકાદશીનું વ્રત કર.” માતા અનસૂયાના કહેવાથી પદ્મિનીએ આ વ્રત કર્યું. વિધિપૂર્વક પૂજન અને જાગરણ પણ કર્યું. આથી ભગવાન તેના પર પ્રસન્ન થયા અને તેને દશે દિશામાં વિજય મેળવે તેવા પુત્રનું વરદાન આપ્યું. રાજા પણ પત્નીના આ વ્રતથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુનાંચરણોમાંપડી ગયો.


 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે


તપશ્ચર્યા પૂર્ણ કરીને રાજા અને રાણી પોતાના રાજ્યમાં ગયા. થોડા સમયમાં રાજા-રાણી બંને પહેલાની જેમ તેજસ્વી બની ગયા. ભગવાનનાં વરદાનથી એને ત્યાં દશમે મહિને એક મહાબળવાન પુત્ર જન્મ્યો. તેનું નામ કાર્તવીર્ય પડ્યું. એ કાર્તવીર્યે  મહાપરાક્રમશાળી રાવણને પણ કેદ કર્યો હતો. પદ્મિની એકાદશીના પ્રભાવથી એ પુત્રનો પ્રભાવ ત્રણે લોકમાં વૃદ્ધિ પામ્યો.


જેને ત્યાંસંતાનસુખ ન હોય તેવાઓએ, પુત્ર, ધન કે યશની ઈચ્છાવાળાઓએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું.



કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 28 જુલાઈ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય અગિયારમો | Purushottam Maas Katha Adhyay 11 in Gujarati | Adhyay 11 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય અગિયારમો |  Purushottam Maas Katha Adhyay 11 in Gujarati  | Adhyay 11 | | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-11-in-gujarati
purushottam-maas-katha-adhyay-11-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય અગિયારમો મેઘાવતીને શિવનું વરદાન અને અમૃત ધારા જે વાતૉ કહેવાય વણિકની વાર્તા.

પુરુષોત્તમ માસ કથા અધ્યાય દસમો


અધ્યાય અગિયારમો : મેઘાવતીને શિવનું વરદાન


નારદે પૂછ્યું : “હે મહામુનિ ! એ કુમારીએ સર્વ મુનિઓને પણ કરવું ઘણું મુશ્કેલ થાય એવું જે મહાન કર્મ કર્યું હતું તે કહો.”


શ્રી નારાયણ બોલ્યા : “તે પછી તે ઋષિકન્યા મેઘાવતીએ ઘણી જ સખત તપશ્ચર્યા શરૂ કરી દીધી અને સનાતન દેવ શંકરનું તે ચિંતન કરવા લાગી. જેમનું લલાટ ચંદ્રની કળાથી શોભી રહ્યું છે અને જટાજૂટથી જે ઘણા જ શોભી રહ્યા છે.


“એ શંકર દેવનો આશ્રયકરી એ બાળા ઘણું આકરું તપ કરવા લાગી. ગ્રીષ્મ ઋતુના સૂર્યમાં તે પંચાગ્નિના મધ્યમાં બેસતી, હેમંત ઋતુમાં તે જળ મધ્યે બેસતી, ચોમાસામાં ઘાસની પથારી કરી ઓઢ્યા વગર સૂઈ રહેતી. આહારમાં ફક્ત ધુમાડો જ ગ્રહણ કરતી તે કન્યા તપ કરવા લાગી. સર્વ દેવોતેને તપથી રોકી શક્યા નહી અને સર્વ મહર્ષિઓમાં તે પ્રિય થઈ પડી. આ રીતે ઋષિકન્યા મેઘાવતીએ નવ હજાર વર્ષ સુધી તપ કર્યું.


મેઘાવતીના એ તપથી પાર્વતીપતિ ભગવાન શંકર પ્રસન્ન થયા અને તેમણે પોતાના અગોચર સ્વરૂપનું એ બાળાને દર્શન દીધું. તપ કરવાને લીધે શરીરે સાવ કૃશ થઈ ગયેલી તે કન્યા ભગવાન શંકરનાં દર્શનમાત્રથી ઉત્સાહિત બની ઊભી થઈ ગઈ જાણે દેહમાં પ્રાણ આવ્યા હોય ! ભગવાન શંકરની કૃપાદ્રષ્ટિથીસિંચાઈને ગૌરવશાળી બનેલી તે બાળાએનીચા વળી પાર્વતીપતિ શંકરને વંદન કર્યા. ભક્તિયુક્ત ચિત્ત વડે તે જગન્નાથની આ પ્રમાણે સ્તુતુ કરવા લાગી.


“હે પાર્વતીનાપ્રિય પ્રાણનાથ ! હે પ્રભો શંકર ! હે ભુતેશ ! હે ગૌરેશ ! હે શંભો ! ચંદ્ર, સૂર્ય, અગ્નિરૂપ દિવ્ય ત્રિનેત્રવાળા, ગળામાં સર્પોની માળા ધારણ કરનારા હે પ્રભુ ! આપને નમસ્કાર છે. મનુષ્ય અનેક સંતાપથી ઘેરાઈને શરીરે પીડાયો હોય, ઘોર સમુદ્રમાં ઘણા જ ડૂબકા ખાતો હોય અને દુષ્ટ સર્પ સરખા કાળની તીક્ષ્ણ દાઢોથી દંશાયેલો હોય તો પણ શરણે આવેલા પર કૃપા કરનાર આપને શરણે આવીને સર્વ દુ:ખોથી છૂટી જાય છે. હે જનમ-મરણને હરનારા આપને નમસ્કાર છે. હે પાપને હરનારા પ્રભુ ! હું આપના શરણે આવી છું. મારી રક્ષા કરો.”


શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે


એમ મન તથા વચનથી શંકરની સ્તુતિ કરીને એ તપસ્વિની મેઘાવી કન્યા શાંત થઈ. તેણીએ કરેલું એ સ્તોત્ર સાંભળી સદાશિવ ભગવાનનું મુખ કમળ પ્રસન્ન બન્યું. તેમણે એની ઘણી સખત તપશ્ચર્યાથી સંતુષ્ટ થઈને આ પ્રમાણે કહ્યું :         “હે તપસ્વિની !તારા મનમાં જેની ઈચ્છા હોય તે વર તું માંગ, હું તારા પર પ્રસન્ન થયો છું. “


શિવજીનું એ વચન સાંભળી કુમારી મેઘાવતી આનંદમાં મગ્ન બની, તેણીએ અતિશય પ્રસન્ન થયેલા સદાશિવને આ પ્રમાણે કહ્યું :


અઘિક માસની " પદ્મિની એકાદશી 2023 " ઉપવાસ ક્યારે કરવો?


બાળા બોલી : “હે દીનાનાથ ! જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મારા મનમાં જેની ઈચ્છા છે તે આપ આપો.મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો… પતિ સિવાય મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી.”


શંકરને એમ કહી ઋષિ કન્યા મેઘાવતી તે વખતે બોલતી બંધ થઈ. મહાદેવે તે મુનિ કન્યાને આ પ્રમાણે કહ્યું : “હે મુનિકન્યા ! તેં તારા મોઢે જે કહ્યું તે થાઓ. તેં પાંચ વાર પતિની માંગણી કરી તેથી હવે તારે પાંચ પતિ થશે.જે પોતાના ગુણોથી પ્રખ્યાત, શૂરવીર,દાનવીર, ધર્મનું આચરણ કરવાવાળા, જિતેન્દ્રીય, પરસ્ત્રીની સામે કદી ખરાબ દ્રષ્ટીથી ન જોનાર,રાજવંશી ક્ષત્રિયો અને ગુણોથી શોભનારા હશે.”


મહાદેવજીનું આવું વરદાન સાંભળી મેઘાવતી ડઘાઈ ગઈ અને બોલી : “હે પાર્વતીપતિ ! તમે આ કેવું વરદાન આપ્યું. એક પુરૂષને પાંચ પત્નીઓ હોય છે, પણ એક સ્ત્રીને પાંચ પતિ હોય તેવું મેં જોયુંય નથી કે સાંભળ્યુંય નથી. મારા સંબંધમાં આવું વચન બોલવું આપને યોગ્ય નથી. આપના આવા વરદાનથી જગત આખામાં મારી હાંસી થશે. હું આપની ભક્ત છું. આપ કૃપા કરી મને આવું અયોગ્ય વરદાન આપશો નહીં. આ તો મારી વર્ષોની તપસ્યા એળે ગઈ એવું મને લાગે છે.”  આમ બોલી તે અત્યંત દુ:ખી થઈ રુદન કરવા લાગી.


તેને આમ વિલાપ કરતી જોઈ ભગવાન શિવ બોલ્યા : “હે ભયભીત થયેલી બાળા ! આ જન્મમાં એમ નહિ થાય, પણ બીજા જન્મમાં એમ થશે. મહામુનિ દુર્વાસા મારી પ્રિય મૂર્તિ છે. તેમના શબ્દોનું તેં અપમાન કર્યું છે. એ જો કોપાયમાન થાય તો ત્રણે જગતને બાળી નાખવા સમર્થ છે અને સર્વ દેવોને જે પ્રિય છે એવો ગોલોકપતિ ભગવાન કૃષ્ણનો પુરૂષોત્તમ માસ તેં કર્યો નથી અને ઉપરથી તેનો તિરસ્કાર કરી તેની નિંદા કરી છે. એ કારણથી તારા પાંચ પતિ થશે. અમે બધા દેવો પણ પુરૂષોત્તમ માસને શ્રદ્ધાપૂર્વક સેવીએ છીએ. જો શ્રેષ્ઠ રીતે જપ, તપ, વ્રત, પૂજા કરવામાં આવે તો પુરૂષોત્તમ ભગવાન જલદી પ્રસન્ન થાય છે. પણ તેઓનું અપમાન તો કદી ન જ થાય. તેં એમનું અપમાન કર્યુંછે, તેનું ફળ તારે ભોગવવું જ પડશે.”
એમ બોલી ભગવાન નીલકંઠ શંકર તરત અદ્રશ્ય થઈ ગયા અને એ ઋષિકન્યા તો ટોળાથી વિખૂટી પડેલી મૃગલીની પેઠે ચકિત જ થઈ ગઈ.
સુત બોલ્યા : “હે મુનિશ્વરો ! જેમનો લલાટપ્રદેશ ચંદ્રની કળાની નિશાનીવાળો છે, એવા સદાશિવ શંકર ઈશાન દિશામાં જતા રહ્યા. મુનિરાજની કન્યા મેઘાવતીને જેમ બ્રહ્મ હત્યાએ ઈંદ્રને દુ:ખી કર્યો હતો તેમ ચિંતાએ દુ:ખી કરી નાખી.”


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ 


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“મેઘાવતીને શિવનું વરદાન” નામનો અગિયારમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


વણિકની વાર્તા


એક ગામમાં ગરીબ વિપ્ર દંપત્તિ રહે. સંતાનમાં સાત છોકરા, માંડ માંડ ગુજરાન ચાલે. એક સાંધે ત્યાં તેર તૂટે એવી ગરીબી. એક વાર ગામમાં એક મહાત્મા આવ્યા. બ્રાહ્મણની ગરીબી જોઈને તેમનું દિલ દ્રવી ઊઠ્યું અને તેના ઉપાય તરીકે તેને પૂર્ણ શ્રદ્ધાથી પુરૂષોત્તમ માસનું વ્રત કરવા કહ્યું.
પાવન પુરૂષોત્તમ માસ આવતાં બ્રાહ્મણ-બ્રાહ્મણીએ વ્રતનો સંકલ્પ કર્યો. પડોશમાં એક વણિક રહેતો હતો. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. એવો મહાકંજૂસ. ક્યારેય દાન-ધરમ કરે નહીં. સંતાનમાં એને સાત દીકરી પણ દીકરો એકેય નહી. 


પુરૂષોત્તમ મહિનામાં લોકોને વ્રત કરતાં જોઈ વણિકે પણ વિચાર કર્યો કે મારી પત્ની ગર્ભવતી છે. લાવને હુંય આ વ્રત કરું. કદાચ પ્રભુ દયા કરીને આ વખતે દીકરો આપે. વણિકે પણ વ્રત શરૂ કર્યું. એ પણ બ્રાહ્મણ-બ્રાહ્મણી સાથે નદીએ નહાવા જવા લાગ્યો. ત્યાં સ્નાન કરે. વાર્તા સાંભળે પણ જ્યાં દાન-દક્ષિણા આપવાની વાત આવે ત્યાં આડું જોઈ જાય. કદી કોઈને કશું આપ્યું ન હતું, એટલે પાઈ-પૈસો આપતાં જીવ ન ચાલે.


એમ કરતાં કમલા એકાદશી આવી.રાતે શેઠને પુરૂષોત્તમ પ્રભુએ દર્શન દીધાં અને કહ્યું કે “હે વણિક ! જીવનમાં તે કોઈ પુણ્યનું કામ કર્યું નથી, તે કદી ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપ્યું નથી. તારી પાસે આટલી અઢળક સંપત્તિ હોવા છતાં તે કદી પાઈનું દાન કર્યું નથી. પછી ભગવાનની કૃપા તારા પર ક્યાંથી ઊતરે ? પણ હે શેઠ ! ભલે સ્વાર્થવશ પણ તેં મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થયો છું અને તને પુત્ર પ્રાપ્ત થશે.પરંતુ તારે મારી વાત માનવી પડશે. તારા એ પુત્રના ભારોભાર સુવર્ણદાન તારી પડોશમાં રહેતા દરિદ્ર બ્રાહ્મણને કરજે અને એના દારિદ્રયને ટાળજે. આ પ્રમાણે કરીશ તો મારી કૃપા તારા ઉપર સદાય રહેશે.”  સપનામાં દર્શન આપીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. 
પ્રભુના દર્શનથી શેઠના સર્વે પાપ બળી ગયાં.


સૂર્યોદય થતાં જ દાયણે પુત્ર જન્મના સમાચાર આપ્યા. શેઠે એને મોં માગ્યું ઈનામ આપ્યું અને દિલ ખોલીને ગરીબ-ગુરબાને દાન દીધાં.


પ્રથમ પ્રહરે જ ગરીબ બ્રાહ્મણને બોલાવ્યો અને પુત્રના વજન જેટલી સોનામહોરનું દાન કર્યું. બ્રાહ્મણનું દારિદ્રય ટળ્યું. આખી જિંદગી બેઠાં બેઠાં ખાય તો પણ ન ખૂટે એટલું ધન બ્રાહ્મણને મળ્યું. બ્રાહ્મણ-બ્રાહ્મણીએ અને શેઠ-શેઠાણીએ આજીવન પુરૂષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા બ્રાહ્મણ-બ્રાહ્મણી અને શેઠ-શેઠાણીને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો.


કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય



""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇